Gujarat weather news: ગયા વર્ષે દેશમાં ચોમાસું મોડું હતું ને ઓછું હતું. ઓછા વરસાદને કારણે અત્યારે ઘણા પ્રદેશો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. આ વખતે ચોમાસું વહેલું છે ને વરસાદ પણ ખૂબ સારો પડશે એવો વરતારો કરવામાં આવ્યો છે. ચોમાસું આંદામાન-નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે. 1 જૂન સુધીમાં કેરળ અને 25 જૂન આસપાસ ગુજરાત પહોંચી જશે.
ગયા વર્ષે 8 જૂને ચોમાસું કેરળ પહોંચ્યું હતું
IMDના ડેટા અનુસાર, કેરળમાં ચોમાસાના એન્ટ્રીની તારીખો છેલ્લાં 150 વર્ષમાં તદ્દન અલગ રહી છે. 1918માં ચોમાસું 11 મેના દિવસે કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972માં એ 18 જૂનના રોજ સૌથી મોડું કેરળ પહોંચ્યું હતું. છેલ્લાં ચાર વર્ષની વાત કરીએ તો 2020માં ચોમાસું 1 જૂન, 2021માં 3 જૂન, 2022માં 29 મે અને 2023માં 8 જૂને કેરળ પહોંચ્યું હતું.
અલ નીનો અને લા નીના એમ બે જળવાયુની પેટર્ન છે. ગયા વર્ષે અલ નીનો સક્રિય હતું, જ્યારે આ વખતે અલ નીનોની સ્થિતિ આ અઠવાડિયે સમાપ્ત થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લા નીનાની સ્થિતિ સર્જાય એવી શક્યતા છે. ગયા વર્ષે અલ નીનો દરમિયાન સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડ્યો હતો. 2020થી 2022 દરમિયાન લા નીના ટ્રિપલ ડીપ દરમિયાન 109%, 99% અને 106% વરસાદ થયો હતો. આ વખતે લા નીનાની સ્થિતિને કારણે ચોમાસું ભરપૂર રહેશે.
અલ નીનો અને લા નીના શું હોય છે?
અલ નીનો: આમાં દરિયાનું તાપમાન 3થી 4 ડિગ્રી વધે છે. એની અસર 10 વર્ષમાં બેવાર જોવા મળે છે. એની અસરને કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ અને ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે.
આ પણ વાંચો: આજે ચોમાસું ક્યાં પહોચ્યું? કયું નક્ષત્ર? આજે વાવાઝોડું ક્યાં છે? જાણો નવી આગાહી
લા નીના: આમાં દરિયાનું પાણી ઝડપથી ઠંડું થાય છે. એ વિશ્વભરના હવામાનને અસર કરે છે. આકાશ વાદળછાયું રહે છે અને ભારે વરસાદ પડે છે.
IMDનો અંદાજ – આ વર્ષે 106% એટલે કે 87 સેમી વરસાદ પડી શકે છે
ગયા મહિને IMDએ કહ્યું હતું કે દેશમાં આ વર્ષે સામાન્ય ચોમાસું કરતાં વધુ સારું રહેશે. હવામાન વિભાગ સામાન્ય કરતાં 104થી 110 ટકા વરસાદને સારો માને છે. આ પાક માટે સારો સંકેત છે. ખરીફ પાક સામાન્ય ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. IMDએ કહ્યું હતું કે 2024માં 106% એટલે કે 87 સેમી વરસાદ થઈ શકે છે. 4 મહિનાની ચોમાસાની ઋતુ માટે લોંગ પિરિયડ એવરેજ (LPA) 868.6 મિલીમીટર, એટલે કે 86.86 સેન્ટિમીટર છે, એટલે કે ચોમાસામાં આટલો કુલ વરસાદ હોવો જોઈએ. આ વખતે વરસાદ નહીં અતિ, ઓછો કે નહીં અતિવૃષ્ટિ જેવો વધારે પણ માપમાં વરસશે.
ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે?
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે. એ પછી ચોમાસું આગળ વધીને શ્રીલંકા સુધી પહોંચતું હોય છે અને ત્યાર બાદ એ અરબી સમુદ્રમાં પ્રવેશતું હોય છે. અરબી સમુદ્રમાં આવ્યા બાદ ચોમાસું કેરળ સુધી પહોંચે છે અને એ રીતે તેની ભારતના મુખ્ય ભૂ-ભાગો પર પ્રસરે છે. ભારતમાં ચોમાસું બે સમુદ્રમાંથી એકમાં ઉદભવે છે- બંગાળની ખાડી અને બીજો અરબી સમુદ્ર. આ વખતે બન્ને સમુદ્રમાંથી ચોમાસું ઉદભવે છે.
આ વર્ષે કેટલો વરસાદ વરસશે?
ભારતના હવામાન વિભાગે ચાર મહિનાના લાંબા ગાળાનું ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.
હવામાન વિભાગ પ્રમાણે, આ વર્ષે ચાર મહિનામાં સરેરાશ દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે.
સ્કાયમેટ પ્રમાણે આ વર્ષે ચાર મહિનામાં સરેરાશ 102% વરસાદ થવાની શક્યતા છે.
એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ક્લાઇમેટ સેન્ટર મુજબ ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે.
ચાર મહિના દરમિયાન સરેરાશ 96%થી 104% વરસાદ થાય તો એને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે, એટલે કે સારો વરસાદ થાય છે.
104%થી વધારે વરસાદ થાય તો ચોમાસું ખૂબ સારું ગણવામાં આવે છે.
સામાન્ય રીતે ભારતમાં ચાર મહિનાના લાંબા ગાળામાં 868.6 મિલિમીટર વરસાદ થાય તો ચોમાસું સારું કહેવાય.
ચોમાસું સારું રહેશે કે નહીં એ કેવી રીતે ખબર પડે?
ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં પહેલાં ભારતનો હવામાન વિભાગ અનેક પરિબળોને ધ્યાનમાં રાખે છે, એમાં ત્રણ પરિબળ મુખ્ય છે.
પહેલું પરિબળ : પ્રશાંત મહાસાગરમાં અલ નીનો છે કે લા નીના. હાલ અહીં અલ નીનોની સ્થિતિ છે, પરંતુ ભારતમાં ચોમાસું શરૂ થશે ત્યારે અહીં લા નીના બનશે, જેથી આપણે ત્યાં ચોમાસું સારું રહેશે.
બીજું પરિબળ : ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) જેને મિની અલ નીનો અને લા નીના કહેવામાં આવે છે. જ્યારે IOD પોઝિટિવ હોય ત્યારે દેશમાં સારું ચોમાસું રહે છે, એટલે કે સારો વરસાદ થાય છે. આ વર્ષે હાલ IOD તટસ્થ સ્થિતિમાં છે અને ચોમાસું શરૂ થતાં એ પોઝિટિવ બને એવી શક્યતા છે, જેથી આ વર્ષે વરસાદ સારો પડે એવી શક્યતા છે.
ત્રીજું પરિબળ : ઉત્તર ગોળાર્ધમાં બરફની સ્થિતિ. જો ઉત્તર ગોળાર્ધ અને યુરોશિયામાં બરફનું કવર ઓછું હોય, એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન અહીં ઓછો બરફ પડ્યો હોય તો ભારતમાં ચોમાસું સારું રહે